Tue,17 September 2024,2:19 am
Print
header

કોંગ્રેસની માનસિકતા હંમેશા દલિત અને મહિલા વિરોધી, સંઘવી અને મેવાણી વચ્ચે શબ્દયુદ્ધ

અમદાવાદઃ રાજકોટમાં ગેમિંગ ઝોનની ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. ભૂજમાં મેવાણીની પ્રેસ કોન્ફરન્સમાં પહોંચેલી દલીત IB મહિલા અધિકારીની ખુરશી કોંગ્રેસના એક નેતાએ ખેંચી હતી અને મહિલા નીચે પડી જતા ઘાયલ થયા હતા, આ મામલે હવે બંને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ એકાઉન્ટ પરથી કચ્છના કોંગ્રેસી નેતા એસ.એચ. આહીર દ્વારા ખુરશી ખેંચીને મહિલા પોલીસકર્મીને નીચે પછાડવાનો વીડિયો શેર કરતા આક્ષેપ કર્યો કે કોંગ્રેસની માનસિકતા હંમેશા દલિત અને મહિલા વિરોધી રહી છે. મેવાણીએ તેનો જવાબ આપતા સંઘવીને કહ્યું કે સુરેન્દ્રનગરમાં દલિતો પર એકે-47 ચલાવનાર મનુ સ્મૃતિના પૂજારીઓ અને બંધારણ વિરોધી ભાજપના લોકો ક્યારથી દલિતો અને મહિલાઓની ચિંતા કરવા લાગ્યાં છે.

મેવાણીએ શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવ્યાં

મેવાણીને સંઘવીની શૈક્ષણિક લાયકાત પર સવાલો ઉઠાવતા કહ્યું કે રાજકોટમાં એક દલિત દીકરીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે, હિંમત હોય તો તેના આરોપીઓ સામે કાર્યવાહી કરો. તેમણે ભૂજમાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ટેલિજન્સ બ્યુરોની એક મહિલા પોલીસકર્મીને તેમની જાસૂસી માટે મોકલવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું.

આતંકવાદીની જેમ જાસૂસી કરવી અયોગ્યઃ મેવાણી

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ કોંગ્રેસ નેતા આહીર વિરુદ્ધ પોલીસ ફરિયાદ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પાર્ટીના કાર્યકારી પ્રમુખ મેવાણીની આતંકવાદીની જેમ જાસૂસી કરવી અયોગ્ય છે. આહીર એક યુવાન અને જાગૃત નાગરિક છે, તેમની સામે SC/ST એટ્રોસિટીનો કેસ દાખલ કરવો એ રાજકીય નફરતનું ઉદાહરણ છે. સરકારના કહેવાથી ખોટી ફરિયાદ દાખલ કરવાની જવાબદારી પણ રાજ્ય પોલીસની છે. ગોહિલે હાઈકોર્ટને આવા કિસ્સાઓ પર નજર રાખવાની પણ માંગણી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં દરરોજ બળાત્કાર, ડ્રગ્સની હેરાફેરી અને ગુનાહિત ઘટનાઓ બની રહી છે અને IBએ કોઈ નેતાની જાસૂસી કર્યાં વિના ગુનેગારો પર નજર રાખવી જોઈએ.

અગ્નિકાંડની ઘટના બાદથી મેવાણી ખૂબ જ સક્રિય

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મેવાણી ખૂબ જ સક્રિય થયા છે. ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરીને તેની સાથે મારપીટ કરી હતી. આ કેસમાં ગણેશ અને તેના સાગરિતો જેલમાં છે, બીજી તરફ રવિવારે પોલીસે ફરિયાદી ચંદુ સોલંકી, રાજુ સોલંકી, જયેશ સોલંકી, દેવ સોલંકી, યોગેશ બગડા વગેરે સામે ગુજરાત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી છે. તેમના પર સરકારી કામમાં અવરોધ, ચોરી, લૂંટ, ખંડણી, અપહરણ, મારપીટ અને ધમકીનો આરોપ છે. મેવાણીના વિધાનસભા ક્ષેત્ર વડગામમાં એક દલિત મહિલાએ મેવાણીના નજીકના લોકો પર તેને હેરાન કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. બંને કેસના આરોપીઓ કોંગ્રેસના નેતા મેવાણીના નજીક છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch