Wed,23 October 2024,12:52 am
Print
header

કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો, 6 શ્રમિકો અને 1 ડોક્ટરનું મોત, આ આતંકવાદી સંગઠને લીધી જવાબદારી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનતા જ આતંકવાદી હુમલા શરૂ થઇ ગયા છે. મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાના વિધાનસભા ક્ષેત્ર ગાંદરબલના ગગનગીર વિસ્તારમાં આતંકવાદીઓએ પરપ્રાંતિય મજૂરો પર હુમલો કર્યો હતો. સુરંગ નિર્માણના કામમાંથી તેઓ પાછા ફરતાની સાથે જ તેના પર અગાઉથી ઘૂસી આવેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં કામદારોને બચવાની તક પણ મળી ન હતી.

આતંકીઓને પહેલાથી જ કામદારોની હિલચાલની માહિતી હતી. તેના આગમન અને જવાના સમય વિશે માહિતી હતી. આ જ કારણ છે કે કર્મચારીઓ વાહન દ્વારા કેમ્પમાં પહોંચતા જ તેમને બચવાની તક ન મળી. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જ્યારે કેટલાક કામદારો ભાગવા લાગ્યા તો આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યાં અને ગોળીબાર કર્યો. અમરનાથ યાત્રાના રૂટ પરના આ વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ ગાઢ જંગલો છે. હુમલા બાદ આતંકીઓ જંગલમાં ભાગી ગયા હતા.

આતંકવાદીઓએ ગાંદરબલમાં સોનમર્ગ નજીક ગગનગીર વિસ્તારમાં ઝેડ મોડ ટનલનું નિર્માણ કરતી કંપનીમાં કામ કરતા મજૂરો પર હુમલો કર્યો છે, જેમાં છ મજૂરો અને એક ડૉક્ટરનું મોત થયું છે. અન્ય કેટલાક કામદારો ઘાયલ થયા છે. તેમાંથી પાંચ પરપ્રાંતિય મજૂરો છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલાની જવાબદારી લીધી છે.

ગગનગીર ગુંડ વિસ્તારમાં સુરંગ બનાવી રહેલી કંપની EPCOના કર્મચારીઓના કેમ્પ સુધી પહોંચ્યાં બાદ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય પાંચ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ઘાયલોમાં એક કાશ્મીરી ડોક્ટર અને અન્ય ચાર મજૂરોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકોની ઓળખ ડૉ. શાહનવાઝ અને મજૂરો ફહીમ નઝીર, કલીમ, મોહમ્મદ હનીફ, શશિ અબરોલ, અનિલ શુક્લા અને ગુરમીત સિંહ તરીકે થઈ છે. તેમાંથી ગુરમીત પંજાબનો, અનિલ મધ્યપ્રદેશનો અને હનીફ, કલીમ અને ફહીમ બિહારનો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch