Wed,09 October 2024,10:57 pm
Print
header

કરોડો રૂપિયાના ઊંઝા APMC સેસ કૌભાંડમાં ચોકીદાર જ ચોર ! ભાજપ પાસે હવે પવિત્ર થવાનો મોકો, ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારીઓને ઘરભેગા કરો

આખરે શું છે મજબૂરી.... ?? ભૂપેન્દ્ર પટેલ સરકાર કેમ ઝડપથી નથી કરી રહી એપીએમસીના સેસ કૌભાંડની તપાસ ??

CMO, PMO, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ પાસે પહોંચી ગયા છે કૌભાંડના પુરાવા

શું ભાજપનો ખેસ પહેરો એટલે ભ્રષ્ટાચાર કરવાનો ખુલ્લો દૌર મળી જાય છે ??

પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ભાજપના મંત્રીઓ અને નેતાઓને કઇ બુટ્ટીં સુંગારી દીધી છે ?

જીરૂ, વરિયાળી, ઇસબગુલની આવકમાંથી ઘરની તિજોરીઓ ભરાઇ હોવાના આરોપ

માત્ર 3 ટકા રકમ જ ચોપડે બતાવાઇ, 97 ટકા રકમ ઘરભેગી કરાઇ હોવાના આરોપ  

ઊંઝાઃ ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકાર ભ્રષ્ટાચાર ડામવા તમામ પ્રયાસ કરી રહી હોવાની મોટી મોટી વાતો કરે છે, પરંતુ ભ્રષ્ટાચારીઓ જ્યારે કેસરી ખેસ પહેરી લે છે ત્યારે ભાજપના ઉચ્ચ નેતાઓ અને મંત્રીઓની આંખો આગળ લાખો રૂપિયાના કાળા ચશ્મા આવી જાય છે. અમે વાત કરી રહ્યાં છીએ એશિયાના સૌથી મોટા ઊંઝા ગંજ માર્કેટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની, લાખો ખેડૂતો અને વેપારીઓ સાથે અહીં વિશ્વાસઘાત કરાયો છે, અહીં ચોકીદાર જ ચોર નીકળ્યાં છે. આ વાત અગાઉ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કરી હતી (એ વખતે મામલો દેશની પ્રતિષ્ઠા અને જનતાના હિતનો હતો, હવે મામલો ગુજરાતના લાખો ખેડૂતો અને વેપારીઓના હિતનો છે) હવે આપણા ગુજરાતનો આ કેસ પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જ પહોંચ્યો છે, પરંતુ ભ્રષ્ટાચારની ફાઇલમાં રહેલા પુરાવા ધૂળ ખાઇ રહ્યાં છે અને ભ્રષ્ટાચારીઓ કેસરી ખેસ અને ટોપી પહેરીને ફરી સત્તામાં આવીને કરોડો રૂપિયામાં આરોટવાના સપના જોઇ રહ્યાં છે.

માત્ર 15 મહિનામાં 15 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના પુરાવા !!

ઊંઝા એપીએમસીમાં ઘૂસો અને કરોડો રૂપિયા ઘરભેગા કરો...!!

એપીએમસીમાં વર્ષોથી ભાજપની પેનલનો દબદબો, પરંતુ આ વખતે મોટો મુદ્દો કેસરી ખેસ પહેરનારા ભ્રષ્ટાચારીઓનો

અગાઉ કર્મચારીએ સ્ટીંગ ઓપરેશન કરીને દિનેશ પટેલ એન્ડ કંપનીને પાડી દીધી હતી ઉઘાડી

ભાજપ સરકાર ભ્રષ્ટાચારીઓને લાત મારીને દૂર કરે, ખેડૂતો-વેપારીઓને આપો પારદર્શી વહીવટ

થોડા સમય પહેલા ઊંઝા એપીએમસીના સેસ વિભાગના કર્મચારી સૌમિન પટેલે કેમેરામાં એવી વસ્તુ રેકોર્ડ કરી કે જેને જોઇને લાખો ખેડૂતો અને એપીએમસીના વેપારીઓના હોંશ જ ઉડી ગયા, કેમેરામાં દેખાયું કે ભાજપ નેતા અને તત્કાલિન ચેરમેન દિનેશ પટેલના નજીકના લોકો એપીએમસીમાં આવીને રોકડ રકમ લઇ જાય છે, આ રકમ લાખોમાં હતી અને વેપારીઓએ સેસ તરીકે જમા કરાવેલી હતી. આવું વારંવાર થતું હતુ, મહિનાઓ સુધી એપીએમસીમાંથી રોકડ રૂપિયા લઇ જવામાં આવ્યાં, આ કૌભાંડમાં ભાજપનો ખેસ પહેરીને મોદી-શાહના નામે ભ્રષ્ટાચાર કરનારા દિનેશ પટેલ તેમના અંગત કનૈયાલાલ પટેલ, ભત્રીજો કમલેશ પટેલ અને ફૂલકેશ પટેલ સામેલ હોવાના આરોપ છે, આ ત્રણ લોકો સેસની ઓફિસમાંથી લાખો રૂપિયા આવીને લઇ જતા હતા.જ્યારે સેસની રકમ થોડી જ દેખાડવામાં આવતી હતી અને જે રશીદ બનાવવામાં આવતી હતી તે થર્ડ પાર્ટીના નામે બનાવીને ફાડી નાખવામાં આવતી હતી, વેપારીઓને અને અન્ય ડિરેક્ટરો પણ આ કૌભાંડનો કરોડો રૂપિયાનો આંકડો જાણીને ચોંકી ગયા છે.

ભાજપ સરકાર ક્યારે કરાવશે આ કૌભાંડની તપાસ ? શું દિનેશ પટેલ ભાજપનો ખેસ ગંદો કરી રહ્યાં છે ????

બિન સત્તાવાર રીતે કરોડો રૂપિયાની લેવડ દેવડ થઇ હોવાનો ઘટસ્ફોટ

વેપારીઓમાં રોષ, 1 લાખ રૂપિયા સામે માત્ર 3 હજાર રૂપિયા જ ચોપડે બતાવ્યાં હોવાનો આક્ષેપ

એપીએમસીની ચૂંટણીમાં મલાઇ ખાવા આ વખતે પણ દિનેશ પટેલ એન્ડ કંપની સક્રિય છે, પરંતુ અહીં તો ભાજપની ઇજ્જત ખરાબ થાય તેવું કામ તેમની જ કેસરી ટોપી પહેરનારાઓએ કર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ભ્રષ્ટાચાર સામે જોરદાર લડત ચલાવી રહ્યાં છે, પણ તેમની નજર સામે જ ઊંઝા એપીએમસના અંદાજે 15 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના પુરાવા પડ્યાં છે, જો સીએમ તરીકે તેઓ આ ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરશે તો ન્યાય મેળવનારાઓના સવાલો અને આશંકાઓ વધુ મજબૂત બનશે, આ વખતની ચૂંટણીમાં ભ્રષ્ટ નેતાઓને મેન્ડેડ ન આપીને લાત મારીને ઘર ભેગા કરો અને તમારી ઝીરો કરપ્શન પોલીસીને મજબૂત બનાવો.

રાજ્યનો સહકાર વિભાગ, રજીસ્ટ્રાર વિભાગ તમાશો જોઇ રહ્યો છે

ગુજરાત સરકારનો સહકાર વિભાગ અને તેમાં આવતો રજીસ્ટ્રાર વિભાગ માત્ર તપાસની વાતો કરી રહ્યો હોવાની વાત સ્પષ્ટ દેખાઇ રહી છે. મહિનાઓ પહેલા થયેલી ફરિયાદોમાં હજુ સુધી આ લોકોએ કંઇ ખાસ તપાસ કરી નથી, કદાચ કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ માટે તપાસ અટકાવવી તે સોનાની મુરઘીનું ઇંડુ હોય શકે છે. વીડિયો પુરાવા અને રશીદોના પુરાવા હોવા છંતા આ લોકો હજુ સુધી ઉંઘમાં જ દેખાઇ રહ્યાં છે અથવા તો તેઓ જાગવા માંગતા નથી.

સરકારે 15 કરોડ રૂપિયા રિકવર કરવા જોઇએ અને ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરવા જોઇએ

દિનેશ પટેલ એન્ડ કંપનીએ માત્ર 15 મહિનામાં જ 15 કરોડ રૂપિયા ઘરભેગા કરી નાખ્યાં હોવાના આરોપ એપીએમસીના અનેક ભાજપના જ
નેતાઓ, ડિરેક્ટરો અને વેપારીઓએ લગાવ્યાં છે. કોઇ એક વ્યક્તિનું સરકારે ન માનવું જોઇએ. પરંતુ અહીં તો અનેક લોકો હવે ભાજપ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યાં છે, ભાજપના જ લોકો આ કૌભાંડની તપાસની માંગ કરી રહ્યાં છે, જો સરકાર આ મામલે ચૂપ રહેશે તો સરકારની ઝીરો કરપ્શન નીતિ સામે અનેક સવાલો ઉભા થશે.

ઊંઝા એપીએમસી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીની તડામાર તૈયારીઓ

16 ડિસેમ્બર 2024 ના દિવસે મતદાન, 17 ડિસેમમ્બરે મતગણતરી

16 બેઠકો માટે 1162 મતદારો કરશે વોટિંગ, 17 મંડળીઓ માન્ય અને 22 મંડળીઓ રદ્ કરાઇ

ભુતિયા મંડળીઓનાં નામે થતા નેતાઓના ગોરખધંધા બંધ થઇ ગયા

ખેડૂત વિભાગની 10 બેઠકો, ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો, વેપારી વિભાગની 4 બેઠકો માટે થશે ચૂંટણી

એપીએમસીમાં ખેડૂતલક્ષી અને તટસ્થ બોડી બને તે જરૂરી  

એપીએમસીનો વર્ષે કરોડો રૂપિયાનો વહીવટ કબ્જે કરવા હોડ લાગી

એશિયામાં ઉચ્ચ સ્થાન ધરાવતા ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ટૂંક સમયમાં જ ચૂંટણી યોજાવા જઇ રહી છે,તે પહેલા ખેડૂત વિભાગની 18 મંડળીઓ મંજૂર થઇ છે, 22 ભૂતિયા મંડળીઓ રદ્ કરી નાખવામાં આવી છે, પ્રથમ મતદાન યાદીમાં 817 વેપારી મતદારો નોંધાયા છે. ખરીદ સહકાર વેચાણ સંઘની 2 મંડળીઓ મંજૂર કરાઇ છે. જેમાં 42 મતદારો નોંધાયા છે, આમ કુલ 1162 મતદારો નોંધવામાં આવ્યાં છે. આગામી 16 ડિસેમ્બર 2024 ના દિવસે મતદાન થશે અને 17 ડિસેમમ્બરે મતગણતરી થશે.ચૂંટણીને લઇને ત્રણ જૂથો અત્યારથી તૈયારીમાં લાગી ગયા છે, પરંતું અહીં સૌથી મોટો મુદ્દો ભાજપનો ખેસ પહેરીને કરોડો રૂપિયા ઘરભેગા કરીને ભ્રષ્ટાચાર કરી ચુકેલા લોકોને ચૂંટણીથી દૂર રાખવાનો છે. કારણ કે અહીં લાખો ખેડૂતો અને વેપારીઓના હિતનો સવાલ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch